Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

લોગ તુમહિ મતિકે ભોરા - ૧
જૌં પાની પાનીમેં મિલિગૌ, ત્યૌં ધુરિ મિલૈ કબીરા - ૨
જો મૈથીકો સાચા બ્યાસ, તોર મરન હો મગહર પાસ - ૩
મગહર મરૈ સો ગદહા હોય, ભલ પરતીતિ રામસો ખોય - ૪
મગહર મરે મરન નહિ પાવૈ, અન્તે મરૈ તો રામ લજાવૈ - ૫
ક્યા કાશી ક્યા મગહર ઊસર, જો પૈ હૃદય રામ બસ મોર - ૬
જો કાશી તન તજૈ કબીરા, તો રામહિ કહુ કૌન નિહોરા - ૭

સમજૂતી

હે લોકો,  તમે સૌ ભોળી બુદ્ધિના છો ! - ૧
જેમ પાણીમાં પાણી મળી જાય છે તેમ કબીર પોતાના સ્વરૂપમાં એકરૂપ થઈ ગયો છે. - ૨
જો મિથિલાનો પંડિત સાચો વ્યાસ હોય તો તમારુ મરણ ભલે મગહરની પાસે થતું ! - ૩
મગહરમાં જે મરે તે ગધેડો થાય એમ કહેવાથી રામમાં તમને વિશ્વાસ નથી એમ પૂરવાર થાય ! - ૪
જે મગહરમાં મરે તેને મરતા નથી આવડતું (એવું તમારું માનવું પણ ખોટું છે) અને જે બીજે મરે ને મુક્તિ પ્રાપ્ત કરે તો રામની ભક્તિ તો લજવાય છે ! - ૫
જો મારા હૃદયમાં રામ જ વસ્તા હોય તો મારે માટે કાશી શું કે મગહર શું ? - ૬
જો કબીર કાશીમાં શરીર છોડી મુક્તિ મેળવે તો પછી રામની ભક્તિનું મહત્વ ક્યાં રહ્યું ? - ૭

ટિપ્પણી

“જો કાશી તન તજૈ કબીરા તો રાખહિ કહુ કૌન નિહોરા ?” શરીર છોડતી વખત કાશી છોડીને મગહર શા માટે કબીર સાહેબ ગયેલા તેનો સ્પષ્ટ જવાબ આ શબ્દમાં આપવામાં આવ્યો છે. કબીર સાહેબ કહે છે કે કાશીમાં જ શરીર છોડું ને મને મુક્તિ મળી જાય તો રામની ભક્તિનું મહત્વ પણ શું ? કાશીમાં મરવાથી જ જો મુક્તિ મળતી હોય તો ભક્તિ કોઈએ કરવી જ ન જોઈએ !  જ્ઞાન ને યોગની સાધના પણ શા માટે કરવી જોઈએ ?  કાશી ભલે પવિત્ર નગરી ગણાતી હોય પણ મરણ સાથે એને શો સંબંધ ? મગહરમાં મરે તો ગધેડો થઈ ફરી જન્મ લે એવું કહેવાથી રામનું નામ લજવાય છે. જે વ્યક્તિ રામમાં રત છે તેને જ મુક્તિ મળે છે. સ્થળનું કશું મહત્વ નથી. રામમાં રત રહેવું એટલે પોતાના સ્વરૂપમાં મગન રહેવું. ‘નિહોરા’ એટલે શરણ અથવા સહારો. કાશીમાં દેહ છોડવાથી મુક્તિ મળતી હોય તો કોઈ રામને શરણે જાય જ નહિ. એક બાજું રામનું શરણું પકડવા પણ પ્રયત્ન કરો છો ને બીજી બાજું અંધવિશ્વાસથી કાશીના મરણને પણ વખાણો છો એ ખરેખર તમારી ભોળી બુદ્ધિનું જ પરિણામ કહેવાય !

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,990
pdf-1અનંત સૂર | Anant Soor 10,636
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,446
pdf-3Amar Varso | અમર વારસો 8,064
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,150